PM મોદીએ કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થશે વિધાનસભા ચૂંટણી: રાજ્યનો દરજ્જો પણ મળશે
- 12 Apr, 2024
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે સાત દિવસ બાકી છે, ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. આ દરમિયાન આજે વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં એક રેલીને સંબોધિત કરીને બે મોટી જાહેરાતો કરી હતી. મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે અને ટૂંક સમયમાં અહીં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. વડાપ્રધાનની આ જાહેરાત એટલા માટે પણ ખૂબ મહત્વની છે કારણ કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સહિત તમામ રાજકીય પક્ષો કલમ 370 હટાવ્યા બાદથી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની માંગ કરી રહ્યા છે.
પોતાના સંબોધનમાં આગળ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ઈન્ડીયા ગઠબંધનને દેશના મોટાભાગના લોકોની પરવા નથી. વડાપ્રધાને નોન-વેજ ફૂડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે 'નવરાત્રિ દરમિયાન નોન-વેજ ફૂડનો વીડિયો બતાવીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડીને તેઓ (વિપક્ષ) કોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? આજે જ્યારે હું બોલી રહ્યો છું, ત્યારપછી આ લોકો મારા પર અપશબ્દોનો મારો ચલાવશે. પરંતુ જ્યારે વસ્તુઓ અસહ્ય બની જાય છે, ત્યારે લોકશાહીમાં મારી જવાબદારી છે કે હું દેશને દરેક વસ્તુની સાચી બાજુ જણાવું. આ લોકો જાણી જોઈને આવું કરે છે, જેથી આ દેશની માન્યતાઓ પર પ્રહાર થાય.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ જ મેદાનમાં 10 વર્ષ પહેલા મેં કહ્યું હતું કે તમારે મારામાં વિશ્વાસ રાખવો જોઈએ. હું દાયકાઓ જૂના મુદ્દાઓ ઉકેલીશ. મેં મહિલાઓના સન્માન અને ગરિમાનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી. લોકોને આગામી 5 વર્ષ સુધી મફત રાશન મળશે, જમ્મુ-કાશ્મીરના લોકોને આયુષ્માન મેડિકલ વીમા કવર મળી રહ્યું છે. અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. મોબાઈલ કનેક્ટિવિટી દૂરના વિસ્તારોમાં વિસ્તારવામાં આવી છે. મોદીની ગેરંટી એટલે પરિપૂર્ણતાની ગેરંટી. આ સિવાય શાહપુર કાંડી ડેમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ જે દાયકાઓથી અટવાયેલો હતો તે અમારી સરકારે પૂર્ણ કર્યો છે. રાવીનું પાણી જે પાકિસ્તાન તરફ વહેતું હતું તે હવે બંધ થઈ જશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ